Pages

Subscribe:

Saturday, 10 November 2012

અજગરનું પ્રચંડ આક્રમણ!

મનઝરૂખો

અમેરીકાના એચ. જે. એન્ગલર્ટના જીવનમાં ધીરે ધીરે બિમારીઓ દેખા દેવા લાગી. એનું બ્લડપ્રેશર વધી ગયું. ચિંતાના બોજથી ચિત્ત ઘેરાઇ ગયું. સતત પોતાના નબળાં પડતાં જતાં સ્વાસ્થ્ય વિશે ચિંતાતુર એચ. જે. એન્ગલર્ટ ડૉકટરની પાસે ગયા ત્યારે ડૉકટરોએ પણ એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી, તો થોડા સમયમાં મૃત્યુ પણ આવી શકે.
એચ. જે. એન્ગલર્ટ ઘેર આવ્યા. એમણે એમની વીમાની પોલીસી જોઇ તો ખ્યાલ આવ્યો કે બધા હપ્તા ભરાઇ ગયા છે. એમને મનમાં થોડી નિરાંત થઇ. એ પછી ચર્ચમાં ગયા. એકલા બેઠા અને ઈશ્વર પાસે પોતાના ભૂલોની ક્ષમા માગવા લાગ્યા. ક્ષમા માગવા જતા અને ભૂલો શોધવા જતાં પોતાની પાછલી જિંદગીનો આખોય ચિતાર ખડો થયો. વળી એમાંથી ખ્યાલ આવ્યો કે એમણે ભૂતકાળમાં કેટલા લોકોને દુઃખી કર્યા છે. પોતાની પત્ની અને કુટુંબની કેવી અવગણના કરી છે. આ વિચારોથી એચ. જે. એન્ગલર્ટમાં હતાશા આવી. આમ ને આમ એકાદ અઠવાડિયું પસાર થઇ ગયું.

વળી વિચાર આવ્યો કે હજી એકાદ વર્ષ તો જીવવાનું છે તો પછી મારે શા માટે ખુશ રહેવાનો પ્રયત્ન ન કરવો. એણે નક્કી કર્યું કે હવે આનંદભેર જીવવું છે અને સહુને આનંદ આપવો છે. બસ, પછી તો છાતી ટટ્ટાર કરી, ચહેરા પર હાસ્ય છલકાવીને એન્ગલર્ટ જીવવા લાગ્યા. ધીરે ધીરે એમનો માનસિક અભિગમ બદલાઇ ગયો. 'થોડા જ સમયમાં મૃત્યુ પામશે' એમ વિચારનારા એન્ગલર્ટ હવે એમ વિચારવા લાગ્યા કે હું મારી જિંદગી કેટલી મોજથી પસાર કરું છું.


એ પછી બે વર્ષ બાદ એન્ગલર્ટ વિચારતા હતા કે જો મેં મારા વિચારો અને વલણો ન બદલ્યા હોત, તો આજે હું કબરમાં સૂતો હોત.


માણસને કોઇ વિચિત્ર શોખની લગની લાગે અને તેને પરિણામે એ પર્યાવરણ, અર્થતંત્ર, પ્રાણીસૃષ્ટિ અને માનવવ્યવહારને કેટલું ઘોર નુકસાન પહોંચાડે છે, તે જાણવું હોય તો અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં થયેલા અજગર અને સાપના આતંક પરથી જાણી શકાય.

વાત તો સાવ નાની હતી કે વર્ષો પહેલાં ક્યુબાથી ફ્લોરિડા આવતા માલવાહક જહાજમાં દેડકાઓ અને બીજા નાનાં-નાનાં પ્રાણીઓને નિમંત્રણ આપીને ફ્લોરિડા વસવાટ માટે બોલાવવામાં આવતા હતા. આજથી ચાલીસેક વર્ષ પહેલાં ફ્લોરિડાના લોકોને એક નવો શોખ જાગ્યો અને તે ભયાનક અજગર અને બિહામણા સાપ ઘરમાં પાળવાનો. પછી તો મોટા મોટા સાપ અને અજગર દેશ-વિદેશથી આયાત થવા લાગ્યા અને ફ્લોરિડાના લોકો ઘરમાં એમને પાળવા લાગ્યા. આમ કરતાં કરતાં આજે ૧૩૭ જેટલી પાણી અને જમીન પર ચાલનારી કે પેટથી ચાલનારી અજગર અને સાપ જેવી જાતિઓ ફ્લોરિડામાં આવી ગઇ છે.

પહેલાં તો લોકો ઘરમાં વિકરાળ અજગર અને લટકતો સાપ રાખીને પોતાના 'પ્રાણીપ્રેમ'નો રૃઆબ છાંટતા હતા, જેટલો લાંબો અજગર એટલી વધુ સામાજિક પ્રતિષ્ઠા. પરંતુ છેલ્લાં કેટલાક સમયમાં ગટરમાંથી નીકળેલા અજગરોએ નાનાં બાળકોને ગંભીર ઈજાને પહોંચાડી અને હવે તો રસ્તા પર લટાર મારવા નીકળેલો અજગર કે સાપ વારંવાર વાહન વ્યવહારને થંભાવી દે છે. આ અજગરની આયાતને પરિણામે આજે ફ્લોરિડામાં જે પશુપક્ષીઓની જાતિ વસે છે, તેમાંની ૮૪ ટકા જાતિ વિદેશી છે.

ક્યારેક તો એમ લાગે કે કોઇ પાગલ માનવીએ અહીં દુનિયાભરના જાતજાતનાં અજગર અને સાપ ઠાલવી દીધા છે. આવા અજગર અને સાપ પહેલાં તો પાકનો નાશ કરતા જંતુઓ સામે રક્ષણ આપતા જણાયા, પરંતુ હવે મોટા અજગરો નાનાં બાળકો અને મોટા મગરોને ઓહિયાં કરી જવા લાગ્યાં છે. તેને પરિણામે એકાએક જાગેલા સરકારી તંત્રએ મોટી જાતના સાપોની આયાત પર નિયંત્રણ મૂક્યું છે. આનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને કહ્યું કે અમે તો આવા લાંબા સાપ વર્ષોથી પાળીએ છીએ. અમારા ઘરના સન્માનનીય સભ્ય છે. આ તો અમારા અંગત જીવન પર દખલ ગણાય. આથી સરકારી તંત્રોએ એટલી છૂટછાટ આપી કે ૨૦૧૦ની પહેલી જુલાઇ પહેલાં જેમણે આવા લાંબા અને મોટા સાપ કે અજગર પાળ્યા હોય, એમને એ રાખવાની પરવાનગી આપવામાં આવી, પરંતુ એની સાથે બે શરત કરવામાં આવી. એક તો એમણે દર વર્ષે એકસો ડોલર ભરીને એના પરમિટ મેળવવી તેમજ એ પ્રાણીમાં માઇક્રો-ચીપ મૂકવી, જેથી એની ગતિવિધિ જાણી શકાય.

જગરોનું આ આક્રમણ સતત વધતું ગયું અને એનું પરિણામ એવું આવ્યું કે અત્યંત ખતરનાક એવા બર્માના અજગર સામે ફ્લોરિડામાં હવે પ્રવેશબંધી ફરમાવવામાં આવી. એ જ રીતે ઉત્તર અને દક્ષિણ આફ્રિકાના તેમજ ભારતના અજગરો તેમજ પીળાં સાપ પર પણ આવો પ્રતિબંધ લાદવામાં આવ્યો, પરંતુ તે દરમિયાન તો વિદેશમાંથી ઘણાં અજગર અને સાપ અહીં લાવવામાં આવ્યા હતા. એમાં પણ બર્માના અજગરે તો એવો પગદંડો જમાવ્યો છે કે એને કારણે ફ્લોરિડાના દક્ષિણે આવેલા પાણીથી છલોછલ ઍવરગ્લેડ્ઝ વિસ્તારની શી હાલત થશે, એ હજી કોઇને સમજાતું નથી.

બર્માનો અજગર એ અત્યંત આક્રમક અજગર ગણાય છે અને એ પોતાની આસપાસના વિસ્તારમાં પ્રાણીનાશ વેરનારો મનાય છે. આ અજગર પક્ષી, મોટું હરણું, મગર અને બીજા મોટી કાયાવાળાઓનો શિકાર કરે છે. એની વસતી ભયજનક રીતે વધી રહી છે. વળી આ અજગર અને સાપને માટે ફ્લોરિડા રાજ્યમાં વસવાની એટલી બધી પર્યાવરણીય અનુકૂળતા છે કે એ ગમે ત્યાં જઇ શકે અને તેથી એમને માટે જીવવાની દ્રષ્ટિએ કોઇપણ વિસ્તાર પ્રતિબંધિત નથી. પરિણામે ઍવરગ્લેડ વિસ્તારમાંથી ૯૦ ટકા જેટલાં નાનાં પક્ષીઓ, જંતુઓ અને ઉંદરો નષ્ટ થઇ ગયા છે.
છેલ્લા બે દાયકાથી ફ્લોરિડામાં અજગર વિષેના અભ્યાસો ચાલી રહ્યા છે, પરંતુ ફ્લોરિડાના નેચરલ હીસ્ટ્રી મ્યુઝિયમના સિનિયર બાયોલોજિકલ સાયન્ટિસ્ટ કેનથ ક્યાસ્કો તો એમ કહે છે કે આનો અભ્યાસ કરવાને બદલે એમને પકડો અને હટાવી દો. નહીં તો અભ્યાસ કરવામાં એટલો સમય વીતી જશે કે અજગરોનો આતંક વધી ગયો હશે.


સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે અજગરોના અભૂતપૂર્વ વસતી વધારાને પરિણામે આ વિસ્તાર પરના માનવજીવનને અને પર્યાવરણને ભવિષ્યમાં કેવું નુકસાન થશે એનો કોઇ અંદાજ નથી. ફ્લોરિડાની ઘણી કંપનીઓ હજી આ આયાતો કરતી રહે છે અને જો આમ જ બહારથી અજગર અને સાપની આયાત થતી રહેશે, તો એક સમય એવો આવશે કે એના પર માનવીનો કોઇ કાબૂ નહીં રહે. આર્થિક અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવાની સાથોસાથ માનવીય સ્વાસ્થ્યને પણ માઠી અસર થશે. વળી બહારથી લાવેલા આ અજગરો અને સર્પોએ ફ્લોરિડાની પ્રાકૃતિક જીવસૃષ્ટિ પર કુઠારાઘાત કર્યો છે.

દોઢસો જેટલી જાતિઓએ વિદેશથી અહીં પ્રવેશ કર્યો છે, એમાં પાંચ પ્રકારના સાપ, ૪૩ જાતની ગરોળીઓ, ત્રણ પ્રકારના દેડકાઓ, અમેરિકન મગરના વંશજો અને અજગરો છે. અજગરો જેટલું જ નુકસાન ખૂબ ઝડપથી અને ખૂબ દૂર સુધી જઇ શિકાર કરતી ગરોળીઓ પણ કરે છે. બાયોલોજીસ્ટો તો એમ કહે છે કે બહારથી લાવવામાં આવેલું કોઇ પણ પશુ કે પ્રાણી એ મૂળ ભૂમિના પર્યાવરણને દૂષિત કરે છે.

અજગરના આ આક્રમણમાંથી બચવા માટે ફ્લોરિડાના કેટલાક ભેજાબાજ લોકોએ નવો નુસ્ખો શરૃ કર્યો. 'મધર્સ ડે' અને 'ફાધર્સ ડે'માં માનનારી આ પ્રજાએ એક નવો 'ડે' શરૃ કર્યો 'પેટ એમ્નેસ્ટી ડે' - આ દિવસે તેઓ પોતાના પ્રાણીને મુક્ત કરીને સરકારી તંત્રને હવાલે કરતા હોય છે. પરંતુ આ વિષયના અભ્યાસી અને વાઇલ્ડલાઇફ ઇકોલોજી વિભાગના સહાયક અધ્યાપક ફ્રેન્ક માઝોટીના કહેવા મુજબ તો ફ્લોરિડાના એટલા બધા અજગર વધી ગયા છે અને એમના આતંકની કલ્પના કરવી મુશ્કેલ બની છે, તેથી હવે એક દિવસ નહીં, પણ આખું વર્ષ 'અજગર ક્ષમા-મુક્તિ દિવસ' ઉજવવો પડશે.

આવી આયાતી જીવસૃષ્ટિને પરિણામે રહેવાસીઓ અને વિજ્ઞાાનીઓને પણ નવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. લોકોને તો જે અજગર કે સાપ મળે તે પાળવાનો શોખ હોય છે, પરંતુ તેઓ એ સ્વદેશી છે કે પરદેશી છે તેનો વિચાર કરતા નથી. આવી પરદેશી જાતિ પરથી થતાં સંશોધનો વિજ્ઞાાનીઓને માટે મૂંઝવણરૃપ બને છે. માનવીનો વિચિત્ર શોખ પ્રાણીઓ પર તો બળાત્કાર કરનારો બને છે, પરંતુ ખુદ એના જીવન પર પણ આઘાત આપનાર બને છે.
ક્ષણનો સાક્ષાત્કાર
સરકારી કચેરીમાં કોઇ અધિકારીને મળવા જાવ, સ્કૂલ-કૉલેજમાં આચાર્યને મળવા જાય અથવા તો કોઇ દુકાને ખરીદી કરવા માટે દુકાનદાર પાસે જાવ, ત્યારે પહેલી નજર એના ચહેરા પર પડશે. કેટલાક માણસો લમણે હાથ દઇને, નિસ્તેજ આંખો સાથે, ચહેરા પર નિરાશા લીંપીને બેઠા હોય છે. એમનો અવાજ ધીમો પડી ગયો હોય છે અને એમનાં વાક્યોની વચ્ચે વચ્ચે તમને નિઃસાસા સંભળાતા હશે. કોઇને મળવા માટે એના કાર્યાલય કે એને ઘેર જાવ, ત્યારે એના આવકારના શબ્દોનો વિચાર કરજો. કેટલીક વ્યક્તિઓને તો આવકારનો શબ્દ બોલતાં પેટમાં દુઃખાવો થતો હોય છે એટલે માત્ર તમારા આગમન સમયે ઉદાસીન આંખ સહેજ ઊંચી કરીને જોશે. આવનારના સત્કારની તો કોઇ વાત જ હોતી નથી. આવે સ્થળેથી તરત વિદાય લેવાની ઈચ્છા થાય.

બીજી બાજુ તમે કોઇ સરકારી અધિકારી, શિક્ષક કે દુકાનદારને મળવા જાવ અને એ ઉત્સાહથી હૂંફાળો આવકાર આપે, ત્યારે ભિન્ન અનુભવ થશે. એના હાથમાં એક પ્રકારની ગતિ હશે અને આંખમાં ઝલકતી આશા હશે. આવી વ્યક્તિની સાથે બેસીને વાત કરવાની કે આનંદ પામવાની ઈચ્છા થાય. કારણ એટલું જ કે એ વ્યક્તિને એના કામ સાથે પ્રેમ છે અને એના કાર્યશીલ આનંદનું એના જીવનમાં રૃપાંતર થયેલું છે. જેને પોતાના કામમાં રસ નથી એની પાસેથી તમને એવો ભાવ મળશે કે 'શું થાય? આ કામ કરવું પડે છે?' જ્યારે બીજી વ્યક્તિ એમ કહેશે કે, 'ચાલો, હવે આ કામ કરીએ.'


એકને માટે કામ, ધંધો કે વ્યવસાય અકળામણ છે, તો બીજાને માટે નિરતિશય આનંદ છે. કામ પ્રત્યેના વ્યક્તિના અભિગમની પારાશીશી એ છે કે જ્યારે એ કામ કરીને ઊઠે, ત્યારે એ 'હાશ' બોલે છે કે 'વાહ'!

0 comments:

Post a Comment