Pages

Subscribe:

Thursday, 8 November 2012

વાસ્તવિક સત્ય કરતાં કાલ્પનિક સત્ય માણસને વધુ વિશ્વસનીય કેમ લાગે છે ?

- જીવનમાં બે વસ્તુઓનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છે ઃ સંપત્તિ અને સન્મતિ. જ્યાં સંપત્તિ હોય ત્યાં ઘણીવાર સન્મતિ નથી હોતી અને જ્યાં સન્મતિ હોય ત્યાં સંપત્તિ નથી હોતી.

* વાસ્તવિક સત્ય કરતાં કાલ્પનિક સત્ય માણસને વધુ વિશ્વસનીય કેમ લાગે છે ?
* પ્રશ્નકર્તા ઃ શ્રી ભરત વ્યાસ મુ. વાપી

હિન્દીમાં એક કહેવત છેઃ ''સત્ય બોલીએ તો જગત મારવા દોડે છે અને જૂઠ્ઠું બોલો તો જગત વિશ્વાસ કરી લે છે.'' કદાચ એટલે જ લોકો અસત્ય બોલવામાં ઝાઝો રસ લેતાં હશે.
સત્ય એ વાણીનું તપ છે અને એ તપનો પ્રકાશ જીરવવાનું અને જાળવવાનું કાયર કે કમજોર માણસનું કામ નથી. સત્યવક્તા બનવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ કાર્ય સત્ય સાંભળવાનું, સહન કરવાનું અને સાંભળ્યા પછી સાચી વાત પચાવવા માટે માનસિક સ્વસ્થતા ટકાવી રાખવાનું છે. સત્યનું સ્વસ્થ ચિત્તે સ્વાગત કરે અને જાણ્યા પછી ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખે એવા વીરલા કોઈક હોય છે.


સ્વ. જ્યોતીન્દ્રભાઈ દવેના શબ્દોનું સ્મરણ થાય છેઃ સત્ય દુઃખકર છે અને અસત્ય સુખકર છે. આ વાક્યની માર્મિકતા સમજવા જેવી છે. માણસ કોઈ પણ વાત અસલી સ્વરૃપે જાણતો નથી, ત્યાં સુધી તેને પોતાનો ભ્રમ પણ મધુર લાગે છે. મિત્ર, પત્ની, ભાગીદાર કે કોઈ સ્વજન પોતાની સાથે ચાલ ચાલી રહ્યું છે, દગો કે વિશ્વાસઘાત કરી રહ્યું છે, એવું માણસ જાણે ત્યારે તે કેટલો વિચલિત, દુઃખી, વ્યાકુળ અને ઉદ્વિગ્ન થઈ જાય છે. ઘણીવાર એમ થાય છે કે અસત્ય જાણ્યું ન હોત કે બહાર ન આવ્યું હોત તો સારું. કોઈને માણસ ધર્મની દ્રષ્ટિએ ગુરૃતુલ્ય ગણતો હોય, અથવા કોઈ મહાન નેતા કે સમાજસેવી મનાતો હોય એમના વિશે આપણે નહીં ધારેલું - નહીં કલ્પેલું રહસ્ય છતું થાય છે, ભ્રષ્ટાચાર કે દુરાચારીનો આક્ષેપ મૂકાય છે ત્યારે આપણે હચમચી ઉઠીએ છીએ. દુનિયાને પણ ઘણીવાર ભ્રમમાં રહેવું જ ગમતું હોય છે. એટલે જ દુનિયાને છેતરવા ખાતર લોકો બનાવટી વાણી, વર્તન, વ્યવહાર અને આચરણનો સહારો લેતા હોય છે. રાક્ષસો પણ માનવમનની આ કમજોરી સમજીને જ માયાવી વેશ ધારણ કરતા હતા. ભર્તૃહરિએ કહ્યું છે તેમ ખારું પાણી શીતળ હોય છે. અસતી એટલે કુલ્ટા સતી હોવાનું નાટક કરે છે. દંભી વિવેકશીલ હોવાનો ઢોંગ કરે છે અને ધૂતારા લોકો મીઠી-મધુર વાણી દ્વારા સામેની વ્યક્તિને આંજવાની પ્રવૃત્તિ કરતા હોય છે. ઘણીવાર માણસનો નિષ્કપટ વ્યવહાર તેનો પોતાનો શત્રુ બની જાય છે. હરિવંશરાય બચ્ચનના શબ્દોમાં -

''મૈં છિપાના જાનતા તો
જગ મુઝે સાધુ સમજતા,
શત્રુ મેરા બન ગયા હૈં,
છલરહિત વ્યવહાર મેરા.''


'સત્' એટલે જેનું સનાતન-કાયમી અસ્તિત્વ હોય, ટકી રહેવાની પ્રબળ શક્તિ હોય. ઋગ્વેદનો ઋષિ કહે છેઃ ''જેના આશ્રયથી દિવસ-રાત ઉત્પન્ન થાય છે, જે નિરંતર ગતિશીલ છે, જડથી ભિન્ન ચેતન તત્ત્વ પણ જેના આશ્રયમાં વસેલું છે, અને જેના આશ્રયે નદી-સમુદ્ર વગેરે અને સમસ્ત પ્રજાઓ રહેલી છે, જેના આશ્રયે સૂર્ય ઉદિત થાય છે, તે સત્ય વચન મારી દરેક પ્રકારે રક્ષા કરે.''
સ્વામી દયાનંદ સરસ્વતીએ એક સુંદર વાત એ કરી છે કે મનુષ્યનો આત્મા સત્ય-અસત્યને જાણે છે છતાં પણ પોતાના પ્રયોજનની સિદ્ધિ, હઠ, દુરાગ્રહ અને અવિદ્યા વગેરે દોષોના કારણે સત્યને ત્યજીને અસત્યનો સહારો લે છે.

હકીકતમાં માત્ર સત્યનું જ અસ્તિત્વ છે, ભ્રમ કે કાલ્પનિક સત્યનું નહીં. અસત્ય બોલનારનો પ્રયત્ન તો એ જ હોય કે પોતે ચતુરાઈપૂર્વક બોલેલું અસત્ય સામેની વ્યક્તિને સત્ય લાગે અને તે ભ્રમિત થઈ તેવા અસત્યને સ્વીકારી લે. જાદુગરો હાથચાલાકી અને સમ્મોહનનો સહારો લઈ માણસને ભ્રમિત કરી કાલ્પનિક પ્રયોગને સાચો મનાવવાની કોશિશ કરે છે. માણસને ભ્રામક કે કાલ્પનિક સત્યનો સોદો સોંઘો-સસ્તો લાગે છે, કારણ કે અસત્ય બોલવાથી તેને તાત્કાલિક ફાયદો થઈ જાય છે, જ્યારે સત્ય બોલવું તેને માટે 'મોંઘું' સાબિત થાય છે, કારણ કે સત્યને કારણે જે પરિસ્થિતિ પેદા થાય તેનાં પરિણામો તેણે તાત્કાલિક સહન કરવાં પડે છે. માણસની ભીરૃતા એને સત્ય બોલીને મુશ્કેલીને જાતે નિમંત્રિત નહીં કરવાની સલાહ આપે છે. સ્વાર્થવશ માણસ અસત્ય અથવા કાલ્પનિક સત્ય બોલીને ફાયદો મેળવી લે છે. એટલે માણસને વાસ્તવિક સત્ય કરતાં કાલ્પનિક સત્ય વધુ ગમે છે. વાયદાબાજો, બહાનાંખોરો, અપરાધીઓ, પ્રિયતમ-પ્રિયતમાઓ, મા-બાપ સમક્ષ સંતાનો એટલે જ કાલ્પનિક સત્ય, મનઘડંત કારણો, પ્રસંગોનો સહારો લઈ તાત્કાલિક રક્ષણ મેળવી ઉપાધિમાંથી બચી જાય છે. માણસની બુદ્ધિ સ્વાર્થવશ તેને ભ્રમિત કરી અસત્યના સહારે જાતને બચાવી લેવાની વૃત્તિ-પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે. માણસ મોહવશ, અજ્ઞાાનવશ અને મનને ખુશ રાખવા ખાતર પણ સત્યને બદલે કાલ્પનિક 'સત્ય' જે સત્ય જ નથી, તેને મહત્ત્વ આપે છે. રાજા ભતૃહરિએ મહારાણી પિંગલાના પતિપ્રેમ અને સતીત્વની કસોટી ખાતર જૂઠનો સહારો લીધો અને મહારાણી પતિના અવસાનની વાત જાણી આઘાતવશ મરણ પામી. ભતૃહરિને ખબર હતી કે મૃત વ્યક્તિને જીવિત કરી શકાતી નથી, છતાં ગોરક્ષનાથ પર દબાણ કરી મહારાણીના ખોળીઆને જીવતું કરાવ્યું, પણ એમાં આત્મા ગણિકાનો સ્થાપિત થયો (કથા મુજબ) પરિણામે 'અમરફળ' વાળી ઘટનાથી ગણિકાના આત્માથી જીવિત થએલી પિંગલાના દુરાચારની વાત રાજાના ધ્યાનમાં આવી ત્યારે મોહનો પડદો દૂર થઈ ગયો, સત્ય બહાર આવ્યું અને હૃદયનો આઘાત પહોંચતાં ભતૃહરિએ ગૃહત્યાગ કરી સન્યાસ ગ્રહણ કર્યો.

સત્ય સ્વાવલંબી હોય છે અને અસત્ય પરાવલંબી. સત્યનિષ્ઠ, સત્યનો સાચો ઉપાસક-આરાધક સત્ય ખાતર બલિદાન આપવું પડે તો પણ તેને માટે તે તૈયાર રહેશે, પણ ચારિત્ર્યભ્રષ્ટતા નહીં જ દાખવે. કાલ્પનિક સત્યનો માર્ગી પ્રલોભન, લોભ, લાલચ ખાતર પોતે કહેલી વાતને વળગી ન રહેતાં વખત આવે ફરી જતો હોય છે. કોર્ટના સાક્ષીઓમાં તથા નેતાઓના આવેશભર્યા ભાષણોમાં ઘણીવાર આવી ઘટના જોવા મળે છે. અસત્ય ઉચાર્યા પછી ઉપસ્થિત થનારી પરિસ્થિતિઓનો સામનો કરવાની આવા તકસાધુઓ પાસે તાકાત હોતી નથી. એટલે બોલેલા શબ્દો કે કહેલી વાતને તેઓ ફેરવી તોળતા હોય છે, માણસ આબરૃ કે પ્રતિષ્ઠા સામે ખતરો ઉભો થવાની શક્યતા જુએ ત્યારે પણ બનાવટી કે કાલ્પનિક સત્યનો આધાર લેતો હોય છે. લોકો બનાવટી વાતોથી અંજાઈ જાય છે માટે તેમને તેવી વાતો વિશ્વસનીય લાગે છે. અસત્ય નિર્બળ છે. અસત્યે પોતાના અસ્તિત્વ માટે પણ સત્યનો આશ્રય લેવાનું જરૃરી બને છે, વિનોબા ભાવેની આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
જીવનમાં બે વસ્તુઓનો સંઘર્ષ સતત ચાલ્યા કરે છેઃ સંપત્તિ અને સન્મતિ. જ્યાં સંપત્તિ હોય છે ત્યાં ઘણીવાર સન્મતિ નથી હોતી અને સન્મતિ ધરાવનાર પાસે સંપત્તિ નથી હોતી. કાલ્પનિક સત્ય સંપત્તિ આપી શકે કારણ કે એ માટે સન્મત્તિ કરતાં સ્વાર્થવૃત્તિ વધુ ખપ લાગે છે. આજકાલ 'સત્ય મારું છે' એમ કહેવા કરતાં હું કહું છે તે જ સત્ય છે- એમ કહેનારની સંખ્યા અહર્નિશ વધી રહી છે! કાલ્પનિક સત્યને પ્રચારકોની ખોટ ક્યારેય વર્તાતી નથી!

કુમારપાળ દેસાઇ

0 comments:

Post a Comment